ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીમહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયતના કારણે બ્રહ્મલીન થયા છે.ત્યારે સવારે 8:30 થી 9:30 સુધી ભક્તોને સરખેજના ભારતી આશ્રમમાં તેમના અંતિમ દર્શનનો લાભ મળ્યો હતો.ત્યારબાદ તેમના નશ્વરદેહને જુનાગઢના ભારતી આશ્રમ ખાતે લઈ જવાયો છે.જ્યાં તેમને સમાધિ આપવામાં આવશે.મહામંડલેશ્વર ભારતીબાપુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા.તેમજ સમગ્ર ભારતના સાધુ સમાજમાં તેમનુ ખુબ નામ હતું.આમ ભવનાથ સાધુ સમાજના અખાડામાં પણ તેઓ પૂજનીય સંત તરીકે પૂજાતા હતા.તેઓ છેલ્લે 1 મહિના પહેલા મહાશિવરાત્રી પર્વ ઉપર રાત્રિના નાગા બાવાની રવેળીમાં દર્શન આપ્યા હતા.
આમ મહામંડલેશ્વર 1008 ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે ત્યારે સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ દુઃખની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે,ભારતી બાપુની સાથે છેલ્લાં 50 વર્ષથી અખંડ સંબંધો રહેલા છે.તેમણે સમાજ માટે અનેક કાર્યો કરેલા છે અને ગુજરાતને વ્યસનમુક્ત બનાવવા માટે ભગીરથ ફાળો આપ્યો છે તેમના બ્રહ્મલીન થવાથી ગુજરાતના સાધુ સમાજને ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે.આપણે સૌ કોઈ તેમના જીવનમાંથી પ્રેરણા લઇએ અને જન સમાજની સેવા કરવામાં વધુ ને વધુ જોડાઈએ.
ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો.4 જાન્યુઆરી 1965ના દિવસે તેમની દિગંબર દીક્ષા કરાઈ હતી.ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ ઇ.સ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસનમુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું. ભારતીબાપુ શ્રી પંચદશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા.આ સિવાય તેઓ સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આર્યુવેદ દવાઓનું ઔષધાલય ચલાવતા હતા. જ્યાં દર્દીઓને મફતમાં સારવાર તેમજ દવાઓ આપવામાં આવતી હતી.ભારતી આશ્રમ સ્વયસંચાલીત ગુરુકુળ પણ ધરાવે છે.જેમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઉચ્ચશિક્ષણ આપવામાં મદદરૂપ બને છે.આ સિવાય આશ્રમમાં તમામ તહેવારો તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved